રાહુલે મોદી અને શાહ સામે કર્યા પ્રહાર: રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નિવેદનોને બનાવ્યો મુદ્દો, JPC તપાસની કરી વાત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06062024_132353_Rahul Gandhi.webp)
- 06 Jun, 2024
મંગળવારે ચૂંટણી પરિણામોના દિવસે શેરબજારમાં આવેલી તબાહીને કારણે રોકાણકારોને લગભગ 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. હવે રાહુલ ગાંધીએ આ મામલે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ચૂંટણી પરિણામના દિવસે આવેલી સુનામીને લઈને શેરબજાર પર પ્રહારો કર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે ભારતીય શેરબજારના ઈતિહાસમાં આ સૌથી મોટું કૌભાંડ છે. તેમણે આ મામલે જેપીસી તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને આ વખતે લોકસભા ચૂંટણીમાં માત્ર 99 બેઠકો જ મળી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અગાઉ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જ્યારે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે શેરબજાર ગગનચુંબી થશે. આ પછી તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શેરબજારમાં રેકોર્ડ વધારો થયો છે અને લોકોને શેર ખરીદવાની સલાહ આપી હતી અને તેના પછી તરત જ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ શેરબજારમાં જોરદાર ઉછાળાની વાત કરી હતી.તેમણે કહ્યું કે પીએમ મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારમણને પહેલાથી જ અંદાજ હતો કે આ વખતે તેમને લગભગ 220 બેઠકો મળશે, પરંતુ નકલી એક્ઝિટ પોલ દ્વારા લોકોમાં જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું.
આ પછી, એક્ઝિટ પોલના અંદાજ પછી તરત જ, શેરબજારે એવો ઉછાળો માર્યો કે તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા, પરંતુ બીજા દિવસે 4 જૂને શેરબજારમાં ભારે ઘટાડો થયો.રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પરિણામો પહેલા શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે ભારે ઘટાડાથી રોકાણકારોને રૂ. 30 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. આ નાણાં 5 કરોડ રિટેલ રોકાણકારોના છે.
તેમણે કહ્યું કે તેની તપાસ થવી જોઈએ.રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ સવાલો કર્યા હતા. જેમાં તેમણે સ્ટોક માર્કેટ ક્રેશને ગુનાહિત કૃત્ય ગણાવ્યું હતું અને પૂછ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને રોકાણ કરવાની સલાહ કેમ આપી? શા માટે 5 કરોડ પરિવારોને સ્ટોક ખરીદવાનું કહેવામાં આવ્યું?
તમને જણાવી દઈએ કે, 3 જૂને શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને રોકાણકારોએ 13.7 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપની બમ્પર જીત જોવા મળી હતી. પરંતુ બીજા દિવસે એટલે કે 4 જૂને બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. કારણ કે પરિણામો એક્ઝિટ પોલ મુજબ આવ્યા ન હતા અને ભાજપ એકલા હાથે બહુમતીથી દૂર રહી હતી.